જામનગરમાંથી 555 કિલો નકલી ઘી ઝડપાયું, એક શખ્સની પોલીસે કરી અટકાયત
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારસ્તાન ચલાવવામાં આવતું હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. ની ટુકડીએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને દરોડો પાડી એક મહાજન શખ્સને અટકાયતમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે, અને તેના કબજામાંથી 555 કિલો ડુપ્લીકેટ મનાતો ઘીનો જથ્થો કબજે કર્યો છે. અને એફએસએલ મારફતે લેબોરેટરીમાં મોકલી આપ્યો છે.
555 કિલો ડુપ્લીકેટ મનાતો ઘીનો જથ્થો કબજે કર્યો
આ દરોડાની વિગત એવી છે કે એસ.ઓ.જી.ની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 માં રહેતા ચિરાગ મનસુખલાલ હરિયા નામના મહાજન શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનની અંદર બનાવટી ઘી તૈયાર કરવાનું અને તેનું ખાનગીમાં વેચાણ કરવાનું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું છે.આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટુકડીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને આજે સવારે ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો.તે દરોડા દરમિયાન મકાનમાંથી 15 કિલો, 10 કિલો અને કિટલા સહિત 555 કિલો ઘી નો જથ્થો મળી આવ્યો હતો.