ડુંગળીના ભાવનો કકળાટ : ખેડૂતો મરવા તૈયાર છે પણ ડુંગળી વેચવા તૈયાર નથી
ડુંગળીના અપૂરતા ભાવને લઈ ખેડૂતોએ નેશનલ હાઈ-વે ચક્કાજામ કરી દીધો
- સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાદી દેતાં ભાવ સાવ તળિયે પહોંચી ગયા
ગાંધીનગર, ગુરુવાર
ખેતીનો વ્યવસાય ખેડૂતો હવે બોજ બની રહ્યો છે અને જેના કારણે ખેડૂતો ખેતીથી વિમુખ થઈ રહ્યા છે. પોતાની જ ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ ન મળે ત્યારે ખેડૂતની શું હાલત થતી હશે એ તો જે ખેડૂત હોય તેણે જ ખબર પડતી હશે. ક્યારેક કુદરત રૂઠે છે તો ક્યારેક સરકાર રૂઠે છે અને આ બધામાં મરો તો અંતે ખેડૂતનો થાય છે. દેવાના ડુંગળ કરીને ખેતી કર્યા બાદ પણ હાથમાં કંઈ આવતું નથી ત્યારે ખેડૂત હતાશ થઈ જાય છે અને ક્યારેક ન ભરવાનું અંતિમ પગલું પણ ભરી લે છે. હાલ ડુંગળીના ગગડેલા ભાવને લઈ ખેડૂતો આક્રમક જાેવા મળી રહ્યા છે. સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દેતાં ડુંગળીના ભાવ તળિયે આવી ગયા છે જેના કારણે ખેડૂતોમાં રોષ છે અને નેશનલ હાઈ-વે ઉપર ડુંગળી નાખીને વિરોધ કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ વિસ્તારમાં ડુંગળીનું મોટાપાયે વાવેતર થાય છે. ચાલુ વર્ષે પણ ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ વાવેતર કર્યું હતું. ઉત્પાદન શરૂ થવાનું હતું ત્યારે પ્રતિ ૨૦ કિલો ડુંગળીનો ભાવ રૂા.૬૦૦થી ૮૦૦ હતો પણ સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાદી દેતાં હવે ડુંગળીના ભાવ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહ્યા છે. હાલ ડુંગળીનો પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂા. ૨૦૦થી ૩૦૦ આસપાસ આવી ચૂક્યો છે અને આ ભાવે ડુંગળી વેચવી ખેડૂતોને પોસાય તેમ નથી. જેથી ખેડૂતોએ રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઈ-વે ચક્કાજામ કરી દીધો હતો અને ગોંડલ એપીએમસી પાસે હાઈ-વે ઉપર ડુંગળી નાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ કહ્યું કે, ખેડૂત મરવા માટે તૈયાર છે પણ ડુંગળી વેચવા માટે તૈયાર નથી. ખેડૂતોએ કહ્યું કે, સરકારે નિકાસ ઉપરનો પ્રતિબંધ દૂર કરવો જાેઈએ અને નહી થાય ત્યાં સુધી અમે લડત આપીશું.