જનતા જર્નાદનને નમન..' મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો બાદ PM મોદીનું ટ્વિટ, જુઓ જીતનો શ્રેય કોને આપ્યો?
PM મોદીએ લખ્યું કે, ભાજપ પર અપાર સ્નેહ, વિશ્નાસ અને આશીર્વાદ વરસાવવા માટે તમામ રાજ્યોના પરિવારના સભ્યો, ખાસ કરીને માતાઓ, બહેનો, દીકરી અને અમારા યુવા મતદારોનો હૃદયપૂર્વક આભાર
ચૂંટણી પરિણામને લઈ PM મોદી ટ્વીટ કરી
મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું: PM મોદી
જનતા જનાર્દનને નમન..: PM મોદી
2023: આજે 4 રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યાં છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ માટે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ છે. ક્યાંક ગણતરી ચાલું છે તો ક્યાંક પરિણામો આવી ગયા છે. આ બધાની વચ્ચે એ નક્કી થઈ ગયું છે ક્યા રાજ્યમાં કોની સરકાર બનશે. આ ચૂંટણી મુદ્દે પરિણામ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી છે. તેમણે લખ્યું છે કે, જનતા જનાર્દનને નમન.. વધુમાં જણાવ્યું કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતના લોકોને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે તેમજ તેમનો ભરોસો ભાજપમાં છે.
વધુમાં લખ્યું કે, ભાજપ પર અપાર સ્નેહ, વિશ્વાસ અને આશીર્વાદ વરસાવવા માટે તમામ રાજ્યોના પરિવારના સભ્યો, ખાસ કરીને માતાઓ, બહેનો, દીકરી અને અમારા યુવા મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું તેમને ખાતરી આપું છું કે અમે તમારા કલ્યાણ માટે અથાક કામ કરતા રહીશું. આ પ્રસંગે પાર્ટીના તમામ મહેનતુ કાર્યકરોનો વિશેષ આભાર. તમે બધાએ એક અદ્ભુત દાખલો બેસાડ્યો છે. તમે જે રીતે ભાજપની વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓને લોકોમાં સુધી પહોંચાડી છે તેના વખાણ કરી શકાય તેમ નથી. અમે વિકસિત ભારતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. આપણે ન તો અટકવાનું છે કે ન થાકવાનું છે. આપણે ભારતને વિજયી બનાવવું છે. આજે આપણે સાથે મળીને આ દિશામાં મજબૂત પગલું ભર્યું છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનો જંગ ખેલાયા બાદ પરિણામ સામે આવી રહ્યાં છે. આજે ચાર રાજ્યોના પરિણામ આવી રહ્યા છે. અગાઉ 7 નવેમ્બરના રોજ મતદાન થયું હતું અને ત્યારબાદ 3 ડિસેમ્બરે પરિણામો આવી રહ્યા છે. આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં બે રાજ્યમાં હાલ કોંગ્રેસની સરકાર છે જેમાં રાજસ્થાન અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં ભાજપ અને તેલંગાણામાં બીઆરએસ તથા મિઝોરમમાં એમએનએફ સત્તા પર છે.